સાસરિયાઓના ત્રાસથી કંટાળી પરિણીતાએ પુત્રીના જન્મદિવસે જ તાપી નદીમાં કૂદી આપઘાત કર્યો

સાસરિયાના ત્રાસથી કંટાળી પાલનપુર પાટિયાના બ્રાહ્મણ પરિવારની પરિણીતાએ પુત્રીના જન્મદિવસે તાપી નદીમાં ઝંપલાવી આપઘાત કરી લીધો હતો. સિંગણપોર પોલીસે સાસરિયા સામે દુષ્પ્રેરણાનો ગુનો દાખલ કર્યો છે.

માહિતી મુજબ ગત મંગળવારે સવારે રામમઢી ઓવારા પાસે નદીમાંથી અજાણી મહિલાની લાશ મળી આવી હતી. સિંગણપોર પોલીસે લાશનો કબજો લઈ પોસ્ટમોર્ટમ માટે સ્મીમેર હોસ્પિટલમાં ખસેડી હતી. પોલીસ તપાસમાં મૃતક મહિલાની ઓળખ જયતીબેન સંકેતભાઇ જોષ તરીકે થઇ હતી. પરિવારજનો રાંદેર પોલીસમાં ગૂમ થવા અંગેની નોંધ કરાવવા પહોંચ્યા હતા ત્યારે તેઓને જયતીબેનની લાશ મળી હોવાનો મેસેજ મળ્યો હતો.

પોલીસના જણાવ્યા પ્રમાણે મૃતક પરિણીતાને પતિ સહિતના સાસરિયા ઘરકામ તેમજ રસોઇ બાબતે મ્હેણાં-ટોણાં મારી અત્યાચાર ગુજારતા હતા. જેથી તેઓ ત્રાસથી કંટાળી ગઈ હતી. જયતીબેન મંગળવારે સવારે નિત્યક્રમ મુજબ ફૂલ લેવા જવાનું કહીને નીકળી રામમઢી ઓવારે જઈ નદીમાં મોતની છલાંગ લગાવી હતી. પુત્રીના જન્મદિને તેણીએ પગલું ભરી લીધું હતુ. સિંગણપોર પોલીસે પતિ સંકેત અનંતકુમાર જોષી, સાસુ હેમાબેન, સસરા અનંત જોષી સામે દુષ્પ્રેરણાનો ગુનો નોંધી તપાસ આદરી છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *