વાલીઓ માટે સારા સમાચાર, ગુજરાતમાં શાળા શરૂ ન થાય ત્યાં સુધી સંપૂર્ણ ફી માફ

કોરોનાની મહામારી ને પગલે માર્ચ મહિનાથી સ્કૂલો બંધ છે. ત્યારે ઘણા સમયથી વાલીઓ દ્વારા ફી માફીની માંગ ઉઠી હતી અને સરકાર સામે આ મુદ્દે વિરોધ સાથે આંદોલન પણ શરૂ થયુ હતુ. છેવટે સરકારે વિધિવત ઠરાવ કરતા સ્કૂલો વાસ્તવીક રીતે પુન:શરૂ ન થાય ત્યાં સુધી એટલે કે ક્લાસરૂમ શિક્ષણ શરૂ ન થાય ત્યાં સુધી સંચાલકો ફી નહી લઈ શકે તેવો કડક આદેશ કર્યો હતો.જે સાથે જ વાલીઓને મોટી રાહત મળી છે.જો કે સરકારે સંચાલકો સાથે ફી મુદ્દે બેઠકો પણ કરી હતી અને ફી ઘટાડવા સમજાવ્યા હતા પરંતુ સંચાલકો ફી ઘટાડવા સંમંત ન થવાથી છેવટે સરકારે ડિઝાસ્ટર મેનેજમેન્ટ એક્ટનું હથિયાર સંચાલકો સામે ઉગામ્યુ છે.

વાલીઓ દ્વારા કરાયેલ પીટિશનના કેસમાં હાઈકોર્ટના આદેશ બાદ રાજ્ય સરકાર દ્વારા ફી અને ઓનલાઈન એજ્યુકેશન સહિતના વિવિધ મુદ્દે આજે વિધિવત ઠરાવ કરવામા આવ્યો હતો. શિક્ષણ વિભાગના આ ઠરાવ મુજબ તમામ શાળાએ કેન્દ્ર સરકાર દ્વારા 14મી જુલાઈએ પ્રગ્યાતા ,ગાઈડલાઈન ફોર ડિજિટલ એજ્યુકેશન મુજબ હોમ લર્નિંગ દ્વારા શૈક્ષણિક પ્રવૃત્તિ કરવાની રહેશે.

રાજ્યની સરકારી તેમજ ગ્રાન્ટેડ અને ખાનગી સહિતની તમામ સ્કૂલો માટે પુખ્ત વિચારણ બાદ જાહેર કરાયેલી ગાઈડલાઈન મુજબ ધો.5થી12 માટે બાયસેગ મારફતે વંદે ગુજરાત ચેનલ પરથી પ્રસારિત થતા શિક્ષણ કાર્યક્રમો બાળકો જોઈ શકે તે માટે સ્કૂલોએ પચાર-પ્રાસર કરવાનો રહેશે. 17 જુલાઈ 2018ના નોટિફિકેશન મુજબ વૈકલ્પિક પ્રવૃત્તિઓ-સુવિધાઓ માટેની ફી અંગે જોગવાઈ કરવામા આવેલ છે. જે મુજબ જે વિદ્યાર્થી ઈત્તર પ્રવૃત્તિનો લાભ લેતા હોય તેઓની પાસેથી જ તે માટેની ફી વસૂલ કરી શકાય.

અત્યારે સ્કૂલો બંધ હોઈ ઈત્તર પ્રવૃત્તિની ફી કોઈ વિદ્યાર્થી પાસેથી લેવાની રહેશે. જો વાલીએ ફી ભરી હોય તો સ્કૂલોએ નિયમિત ક્લાસર શરૂ થાય ત્યારે લેવાની થતી ફીમાં સરભર કરવાની રહેશે. ઉપરાંત ડિઝાસ્ટર મેનેજમેન્ટ એક્ટની જોગવાઈ હેઠળ ગુજરાત સ્વનિર્ભર અધિનિયમ ,2017ની કલમ 16થી મળેલ સત્તાની રૂએ ખાનગી સ્કૂલો માટે કડક સૂચનાઓ જાહેર કરાઈ છે.

સરકારના ઠરાવ મુજબ લોકડાઉનની જેવી સ્થિતિમાં પણ ઘણી સ્કૂલોએ વાલીઓ પાસથી ફીની માંગણી કરી ફી ભરવા ફરજ પાડી છે અને ઘણી સ્કૂલોએ તેમના શિક્ષકો-કર્મચારીઓ સહિતના સ્ટાફને પગાર ચુકવતી નથી. તેમજ કેટલીક સ્કૂલો 40 થી 50 ટકા જેટલુ ઓછુ વેતન ચુકવે છે. સ્કૂલો ચેરિટેબલ સંસ્થાઓ છે અને હાલની સ્થિતિમાં સ્કૂલોએ વાલીઓને ટેકો આપવો જોઈએ. તેમ છતાં સ્કૂલ સંચાલક મહામમંડળ વિકટ પરિસ્થિતિથી વાકેફ હોવા છતાં કોઈ પણ પ્રકારનો ફી ઘટાડો કરવા ઈન્કાર કર્યો છે.જથી તમામના જાહેર હિતમાં રાજ્ય સરકારે નિર્ણય લીધો છે કે સ્કૂલો વાસ્તવિક રીતે બંધ થઈ છે તે સમયગળાથી શરૂ કરીને પુન:વાસ્તવિક રીતે શરૂ ન થાય ત્યાં સુધીની કોઈ પણ પ્રકારની ટયુશન ફી વસૂલ કરી શકાશે નહી.

ઉપરાંત ખાનગી સ્કૂલો 2020-21માં કોઈ પણ પ્રકારનો ફી વધારો કરી શકશે નહી અને લોકડાઉનના સમયગાળા દરમિયાન શાળાઓને થયલે શૈક્ષણિક તેમજ બિનશૈક્ષણિક કર્મચારીઓના વેતનનો વાસ્તવિક ખર્ચ ફી રેગ્યુલેશન એક્ટ હેઠળ આગામી વર્ષની ફી નક્કી કરતી વખતે ફી કમિટી દ્વારા ધ્યાને લેવાશે.

મહત્વનું છે કે સરકારે હવે જ્યાં સુધી ક્લાસરૂમ શિક્ષણ શરૂ ન થાય અને રેગ્યુલર સ્કૂલો શરૂ ન થાય ત્યાં સુધી વાલીઓને સંપૂર્ણ ફી માફીની રાહત આપી છે. અને જેનાથી રાજ્યના લાખો વાલીઓને મોટો ફાયદો થશે.આ ઉપરાંત જો કોઈ વાલીએ એડવાન્સ ફી ભરી હોય તો સ્કૂલે આગામી સમયમા લેવાની થતી ફી સામે વધારાની રકમ સરભર કરવાની રહેશે.

ગત શૈક્ષણિક વર્ષને ધ્યાનમાં રાખતા 30 જુન સુધી ફી ન ભરનાર વિદ્યાર્થીને આરટીઈ એક્ટ હેઠળ શાળામાંથી દૂર કરી શકાશે નહી.આ જોગવાઈનું રાજ્યની તમામ સ્કૂલે પાલન કરવાનુ રહેશે. રાજ્ય સરકારના આ ઠરાવનો અમલ રાજ્યની ગુજરાત બોર્ડની તમામ ખાનગી સ્કૂલો ઉપરાંત સીબીએસઈ-અન્ય બોર્ડની સ્કૂલે પણ કરવાનો રહેશે.

હાઈકોર્ટમાં અમે આ ઠરાવ સાથે એફિડેવિટ કરી છે : શિક્ષણમંત્રી ભુપેન્દ્રસિંહ ચુડાસમા

શિક્ષણમંત્રી ભુપેન્દ્રસિંહ ચુડાસમાએ જણાવ્યું કે વાલીઓ દ્વારા કરાયેલી પીટિશનના કેસની સુનાવણીમાં હાઈકોર્ટના આદેશ બાદ રાજ્ય સરકારે વિવિધ ત્રણ મુદ્દે એફિડેવિટ કરીને સરકારનો મત રજૂ કર્યો છે. જે મુજબ જો શિક્ષણકાર્ય થતુ ન હોય તો કોઈ પણ પ્રકારની ફી ન લઈ શકાય અને સરકાર બાળકોના શિક્ષણ કાર્યને ઓનલાઈન મોડમા ચાલુ રાખવા માટે કોમન ગાઈડલાઈન પણ બહાર પાડી છે.જે મુજબ વિવિધ માધ્યમથી હોમ લર્નિંગ ચાલુ રહેશે.સરકારની આ એફિડેવિટને હાઈકોર્ટ સમક્ષ મુકાયા બાદ હવે આગામી સુનાવણીમાં હાઈકોર્ટ નક્કી કરશે.તેમજ શાળાને ટ્યુશન ફી ન લેવા તેમજ હાઈકોર્ટે સરકારને ચોક્કસ પદ્ધતિ નક્કી કરવા આદેશ આપ્યો હતો.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *